Print
Parent Category: ચિંતન
Category: ધમૅવિચાર
Star InactiveStar InactiveStar InactiveStar InactiveStar Inactive
 


ઉત્તર પ્રદેશમાં વરુણા અને અસી નદીઓ જયાંથી વહે છે એ વારાણસીમાં વિશ્વનાથ જયોર્તિલિંગ આવેલું છે. નગરની વચ્ચોવચ ગૌદોલિયા ચોક પાસે સાંકડી ગલીઓમાં આ વિખ્યાત મંદિર આવેલું છે. અહીંથી ગંગાતટ એકાદ ફર્લાંગ દૂર છે. અને લલિતા-ઘાટ સૌથી નજીકનો ઘાટ છે.

શિવજીના લગ્ન પાર્વતીજી સાથે થયા પછી ભગવાન શંકર હિમાલય પર્વત પર રહેતા હતા. પરંતુ પાર્વતીજીને પોતાના પતિ ઘરજમાઈની માફક પિયરમાં રહે તે ગમતું નહીં. તેથી ભગવાન શિવે નવાં સ્થળો શોધતાં શોધતાં કાશી ક્ષેત્રમાં નિવાસ કરવાનું નકકી કર્યું.

આ વખતે સુદેવના પુત્ર સમ્રાટ દિવોદાસ વારાણસીનગર પર રાજ કરતાં હતા. ભગવાન શંકરે પોતાના સેવક નિકુમ્ભ મારફત નગરને નિર્જન કરાવી બીજા દેવતાઓ અને નાગલોક સાથે ભગવાન શંકર અહીં રહેવા લાગ્યા. રાજા દિવોદાસ પોતાની રાજધાની છીનવાઈ જવાથી ખૂબ જ દુઃખી થયા. તપસ્યા કરીને તેમણે બ્રહ્માજી પાસેથી વરદાન મેળવ્યું કે દેવો દિવ્યલોકમાં, નાગલોક પાતાળમાં અને મનુષ્યો પૃથ્વી ઉપર જ રહેશે. આથી ભગવાન શંકર, દેવતાઓ અતે નાગલોકોને વારાણસી છોડવું પડયું. અને શિવજી મંદરાચળ નામના પર્વત પર ચાલ્યા ગયા. પરંતુ તેમની ઈચ્છા તો અહીં જ રહેવાની હતી. એટલે શંકરજીની પ્રેરણાથી બ્રહ્માજી અને વિષ્ણુ રાજા દિવોદાસ પાસે રહેવા લાગ્યા.

ત્યારબાદ સમ્રાટ દિવોદાસે શિવજીને પ્રસન્ન કરવા તપ કર્યું આથી ભગવાન શંકરે દર્શન આપ્યો. અને દિવોદાસને વારાણસીમાં રહીને રાજ કરવાની અનુમતિ આપીને પોતે અહીં જયોર્તિલિંગ વિશ્વેશ્વર અથવા વિશ્વનાથના નામથી પૂજાવા લાગ્યા છે.

આ ભવ્ય મંદિરના સિંહદ્વારમાં દાખલ થતાં જ નાનકડું પ્રાંગણ આવે છે. અહીં બે ફૂટ ઊંચા ઓટલા પર મંદિર ચણવામાં આવ્યું છે. ગર્ભગૃહની વચ્ચોવચ ચાંદીના ચારેક ફૂટના થાળામાં વિશ્વનાથ મહાદેવનું પવિત્ર જયોર્તિલિંગ બિરાજે છે. આ થાળું દોઢેક ફૂટ ઊંડું છે. અને તળિયામાંથી નિરંતર વહેતા ગંગાજળથી જયોર્તિલિંગ અડધું ડૂબેલું રહે છે. તેથી વાર વાર આ ગંગાજળ ઉલેચવું પડે છે. પંજાબના મહારાજા રણજીતસિંહ વિશ્વનાથ મહાદેવના દર્શન આવ્યા ત્યારે જયોર્તિલિંગને પોતાનો કોહીનુર હીરો અર્પણ કરેલો. પરંતુ પછી એનું રક્ષણ કરવાનું વ્યવહારુ નહીં લાગતાં હીરાની કિંમત જેટલાં ૮૨૦ કિ.ગ્રા. સોનાના પતરાંથી મંદિરના બંને શિખરો મઢવામાં આવ્યાં. એટલે આ મંદિર સુવર્ણમંદિર પણ કહેવાય છે. બહારના પ્રાંગણમાં રાખેલી ખાસ સીડી દ્વારા શિખર સુધી પહોંચીને એનાં દર્શન થઈ શકે છે.

આ નગરી ભારતની સાત પવિત્ર નગરી પૈકીની એક ગણાય છે. નગરીના સમગ્ર ગંગા તટ પર અગણિત ઘાટો આવેલા છે. મણિકર્ણિકા ઘાટ તથા ચિતાઘાટ પર લોકો પોતાના મૃત આપ્તજનોના અગ્નિસંસ્કાર કરે છે. માનમંદિર ઘાટ પર ભારતની પ્રખ્યાત પાંચ વેધશાળાઓ પૈકીનો એક વેધશાળા આવેલ છે. પુરાણોમાં લખ્યા મુજબ કાશીમાં દેહત્યાગ કરનારને મોક્ષ મળે છે. એટલે કાશીનું મરણ પ્રખ્યાત થયું.

વારાણસીના દક્ષિણ સીમાડે પંડિત મદનમોહન માલવિયાજીના પુરૂષાર્થની બાંધવામાં આવેલ બનારસ યુનિવર્સિટી આવેલ છે. આ સિવાય કાશી વિધ્યાપીઠ, ભારતમાતા મંદિર, માનસ મંદિર વગેરે જોવાલાયક સ્થળો છે. લલિતા ઘાટ નેપાળના મહારાજાએ બંધાવેલ નેપાળી મંદિર તથા તેમાંનું સામ્રાજયેશ્વર શિવલીંગ દર્શનીય છે.