સદા અને સર્વત્ર સૌનું કલ્યાણ થાઓ આશ્રમ-પ્રયોગાત્મક મંત્ર પદ્ધતિ-૮૦ થી ૧૦૦
૮૧. વેદમાં પ્રવેશ માટે ગાયત્રી મંત્ર પ્રથમ દ્વાર છે. અર્થાત્ ગાયત્રી મંત્રનો યથોચિત અભ્યાસ કર્યા વગર વેદ પાઠમાં
અધિકાર મળતો નથી.
(જીવન વિજ્ઞાન પાન ૧૧૮) ૮૨. ગાયત્રી મંત્રમાં આઠ અક્ષરના ત્રણ પાદ છે. પ્રાથમિક કોટિના અભ્યાસીને એક શ્વાસમાં આઠ આઠ અક્ષરનું એક
પાદ બોલવાનું હોય છે એટલે કે એક શ્વાસમાં એક સાથે ત્રણ પાદ ન બોલતા ત્રણ શ્વાસમાં ત્રણ પાદ બોલીને મંત્ર કરે.
(જીવન વિજ્ઞાન પાન ૧૧૮) ૮૩. ત્રણ શ્વાસમાં ત્રણ પાદ બોલીને મંત્ર કરવાથી, થોડા સમયમાં શ્વાસ નળી શુદ્ધ થઇને અનાયાસ મંત્ર થવા લાગશે.
ત્યારે એક શ્વાસમાં બે પાદનો અભ્યાસ કરે. સાથે મંત્રના સ્પષ્ટ ઉચ્ચારણ તરફ પણ ધ્યાન રાખે.
(જીવન વિજ્ઞાન પાન ૧૧૮)
૮૪. જ્યારે બે પાદ એક શ્વાસમાં અનાયાસ સિદ્ધ થાય અને ધારા પ્રવાહ કલાકો સુધી મંત્ર જપ કરવાની યોગ્યતા મેળવે,
ત્યારે તે કાળાંતરમાં પૃથિવી તત્વ ઉપર કાબૂ મેળવે છે, અને ક્રિયા શક્તિમાં સિદ્ધ થઇને અબાધિતપણે ક્રિયા કરી શકે છે.
આ પ્રમાણે ક્રિયા શક્તિમાં સિદ્ધ એ જ ઋગ્વેદી છે. ઋગ્વેદીને મંત્રના વર્ણના શુદ્ધ ઉચ્ચારણ ઉપર ખાસ ધ્યાન આપવું
પડે છે.
(જીવન વિજ્ઞાન પાન ૧૧૮)
૮૫. જ્યારે એક શ્વાસમાં બત્રીશ અક્ષરનો મંત્ર બોલતા રહીને અનાયાસ કલાકો સુધી ધારા પ્રવાહ મંત્ર કરવાની યોગ્યતા
મેળવે છે, ત્યારે તે જલ તત્વ ઉપર અધિકાર મેળવે છે અને ક્રિયા શક્તિ અને ઇચ્છા શક્તિરૂપી બે સિદ્ધિઓ પણ મેળવે છે.
તે યજુર્વેદી થાય છે. યજુર્વેદીને કોઇ પણ મંત્રના પાઠ કે જપ વખતે વર્ણ અને સ્વર ઉપર વિશેષ લક્ષ રાખવું પડે છે.
(જીવન વિજ્ઞાન પાન ૧૧૮)
૮૬. જ્યારે એક જ શ્વાસમાં અડતાળીસ (૪૮) અક્ષરનો મંત્ર જપ કરતા રહીને અનાયાસ ધારા પ્રવાહ કલાકો સુધી મંત્ર જપ
કરવાની યોગ્યતા મેળવે છે, ત્યારે તે તેજ તત્વ ઉપર અધિકાર મેળવે છે. અને ક્રિયા, ઇચ્છા અને જ્ઞાન આ ત્રિવિધ શક્તિ
વડે શક્તિમાન થઇને ઈશ્વરત્વ મેળવે છે, એ ધારે તે કરી શકે છે. તેને મંત્રોચ્ચારમાં સ્પષ્ટ વર્ણ ઉચ્ચારણ, ઉદાત્ત-અનુદાત્ત
સ્વરિત સ્વર અને હ્રસ્વ-દીર્ઘ-પ્લુત માત્રા – આ ત્રિવિધ પ્રક્રિયા ઉપર ખાસ ધ્યાન આપવું પડે છે. આ પ્રમાણે જે મંત્રના
વિજ્ઞાન સાથે પરિચિત થઇ શકે છે, તે સામવેદી થઇ શકે છે.
(જીવન વિજ્ઞાન પાન ૧૧૮)
૮૭. જે અથર્વ વેદી છે તે ધારા પ્રવાહરૂપે ચોસઠ અક્ષરનો મંત્ર જપ કરી શકે છે. તે ચારે તત્વ ઉપર અધિકાર મેળવે છે,
અને ક્રિયા, ઇચ્છા, જ્ઞાન એ ત્રિવિધ શક્તિથી સંપન્ન થાય છે. ઉપરાંત શક્તિત્રયના પ્રયોગમાં જેને પ્રજ્ઞાન કહેવામાં આવે
છે, તેમાં પણ નિપુણ થાય છે. એને મંત્રોચ્ચારમાં વર્ણ, સ્વર, માત્રા અને અક્ષર ઉપર ભાર આપવા રૂપી
(પ્રાણ-મહાપ્રાણ રૂપી) બળ આ ચાર પ્રક્રિયા ઉપર પણ ધ્યાન આપવું પડે છે. જે વાસ્તવિક અથર્વવેદી છે તે આંતર
વિજ્ઞાન રૂપી જીવન વિજ્ઞાનમાં પૂર્ણત: નિપુણ થઇને લોકોનું જીવન ગઠન કરી શકે છે, અને જીવન સંશોધન તથા જીવન
પરિવર્તન પણ કરી શકે છે. આ છે અથર્વવેદીની વિશિષ્ટતા. તેથી કોઇ પણ યજ્ઞ પ્રસંગમાં અથર્વવેદીને બ્રહ્મા બનાવવામાં
આવે છે. અથર્વવેદીને વૈખરી, મધ્યમા, પશ્યંતી, પરા આ ચાર વાણી સિદ્ધ હોવાથી તે ચાર વાણીથી વેદ પાઠ કરી શકે છે,
તેથી બ્રહ્માના ચાર મુખની કલ્પના કરવામાં આવી છે.
(જીવન વિજ્ઞાન પાન ૧૧૯)
૮૮. ભારતીય વેદ રહસ્યાત્મક જ્ઞાનથી ભરપૂર છે. વેદ પાઠના પ્રતાએ મનુષ્યો વિવિધ પ્રકારની સિદ્ધિ કે શક્તિઓ મેળવી
શકે છે. મનુષ્ય જ વેદ વિજ્ઞાન સમ્મત મંત્ર શક્તિને પ્રતાપે સિદ્ધ, યક્ષ, રાક્ષસ, ગંધર્વ થાય છે, દેવ થાય છે; ઇન્દ્ર, વરુણ,
યમ આદિ પદવી મેળવે છે; બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર આદિ મહાન શક્તિશાળી પદવીઓ મેળવે છે અને ઋષિ મહર્ષિઓ પણ એ
જ વેદ વિજ્ઞાનના પ્રતાપે થાય છે.
(જીવન વિજ્ઞાન પાન ૧૧૯)
૮૯. જો આપણે વેદ વિજ્ઞાનને પુનર્ જીવિત કરી શકીએ તો ફરી આપણે પૂર્ણત: સુખી થઇ શકીએ અને બીજા કોઇ પણ
દેશની આપણને અપેક્ષા રહે જ નહિ. અપિતુ બીજા દેશો આપની પાસે જીવન વિજ્ઞાન શીખવા આવશે. જેથી તેઓ પણ
જીવનમાં વાસ્તવિક સુખ શું છે, તે જાણે સમજે અને અમલમાં મૂકી સુખી થાય.
(જીવન વિજ્ઞાન પાન ૧૧૯)
૯૦. ઇશ્વર પ્રણિધાન ભાવનાત્મક સાધન છે, જ્યારે તપ અને સ્વાધ્યાય શારીરિક અને વાચિક ક્રિયાત્મક સાધન છે. તેથી
સાધક શરીર, વાણી કે મન વડે જે કાંઇ કર્મ કરે તે સર્વ કર્મનું ફળ ઇશ્વરને અર્પણ કરી દે.
(જીવન વિજ્ઞાન પાન ૧૨૦)
૯૧. સાધક શુદ્ધ હ્રદયે શુભ અશુભ દરેક કર્મનું ફળ ઇશ્વરને અર્પણ કરી દે તો તેનું મન શાંત થાય છે, કારણ કે અર્પણ પછી
તેને શુભ કર્મ કરવાથી અભિમાન થતું નથી અને કદાચ અશુભ થઇ જાય તો તેમાં ગ્લાનિ ઉપજાતિ નથી. અને સાથે સાથે
ઇશ્વર કૃપાને કારણે મન બળવાન બનતું હોવાથી ધીમે ધીમે અશુભ કર્મ થતાં અટકી પણ પડે છે. આ એક સાધક માટે
મોટામાં મોટો લાભ છે.
(જીવન વિજ્ઞાન પાન ૧૨૦)
૯૨. જેઓ ધર્મ, અર્થ, કામ, મોક્ષ રૂપી ચતુર્વિધ પુરુષાર્થવાદી શ્રેયસ-પ્રેયસ ઉભયકામી સાધકો છે, તેઓ માટે સગુણ સાકાર
ઇશ્વરની ઉપાસના સુલભ થઇ પડે છે. તેમ જ જેઓ વિવેક વૈરાગ્યમાં પ્રબળ છે, તેઓ માટે ઈશ્વર પ્રણિધાનની આવશ્યક્તા
પણ નથી રહેતી, કેમકે એવા ઉચ્ચ કોટીના વિવેક વૈરાગ્યવાન સાધકો શરીર નિર્વાહ માટે ઉપયોગી અનિવાર્ય કર્મ સિવાય
જ્યાં બીજા કર્મ ન જ કરતા હોય, ત્યાં કર્મ સમર્પણની અપેક્ષા પણ ન જ હોય.
(જીવન વિજ્ઞાન પાન ૧૨૧)
૯૩. પરા જીવરૂપી ઇશ્વર કોટીના જ્ઞાનીઓ ઇશ્વર પ્રણિધાની એવા ક્રિયા યોગીઓનું કલ્યાણકારી માર્ગમાં સંચાલન કરવા
માટે બહુ જ ઉપયોગી થઇ પડે છે.
(જીવન વિજ્ઞાન પાન ૧૨૩)
૯૪. ક્રિયા યોગીઓ પણ રુચિ, સંસ્કાર, પ્રકૃતિ અને અધિકાર અનુરૂપ વિભિન્ન કોટીના હોય છે અને પ્રાયશ: તેઓ જે જે
મંત્ર કે સંકલ્પાત્મક વિનિયોગને કેન્દ્ર કરીને સાધન કરતા હોય છે, તે ઉપર પણ આધાર રાખે છે.
(જીવન વિજ્ઞાન પાન ૧૨૩)
૯૫. મંત્રાધીન દેવ હોવાથી મંત્રમાં અવ્યક્તરૂપે રહેલી ઇચ્છા અને જ્ઞાન શક્તિ અનુરૂપ તે તે દેવ દેવીઓ સાધકના હ્રદયમાં
આવિર્ભાવ પામી સાધકને દર્શન આપે છે.
(જીવન વિજ્ઞાન પાન ૧૨૩)
૯૬. દેવ દેવીઓના દર્શન સમયે, સાધક પ્રથમત: વિમોહિત સ્થિતિમાં હોવાથી તેનામાં નિર્ણયાત્મક શક્તિ ઓછી હોય છે,
એટલે આધિદૈવિક રાજ્યની ઘણી એવી શક્તિઓ, કે જે સ્વભાવત: રાગ દ્વેષ પરાયણ અને અમૂક ઇચ્છાઓથી વશુભૂત હોય
છે, તે સાધકને અભિભૂત કરીને પોતાની ઇચ્છાઓની તૃપ્તિ કરી લે છે. ઘણી વખત આવી શક્તિઓ સાધકને દુ:ખી અને
હેરાન પણ કરે છે.
(જીવન વિજ્ઞાન પાન ૧૨૩)
૯૭. કેટલીક શક્તિઓ સાધકને વિવિધ પ્રકારના પ્રલોભનો આપીને અને તેના મૂળ ધ્યેયમાંથી વિચલિત કરીને પોતપોતાની
ઇચ્છાઓની તૃપ્તિ પણ કરી લે છે.
(જીવન વિજ્ઞાન પાન ૧૨૪)
૯૮. સાધકના ઇષ્ટ મંત્રમાં રહેલી ઇષ્ટ શક્તિ જો પ્રબળ હોય અને સાધક જો ધ્યેયમાંથી વિચલિત ન થાય તો સ્વાર્થ-પરાયણ
તુચ્છ શક્તિઓ ફાવી શક્તિ નથી. તેથી સાધકની સાધન નિષ્ઠા અને ધ્યેય ઉપર સાધકની ઉન્નતિ કે અવનતિ નિર્ભર રહે છે.
(જીવન વિજ્ઞાન પાન ૧૨૪)
૯૯. ક્રિયા યોગીઓને કોઇ પણ એક ઇષ્ટ મંત્રની અનિવાર્યપણે આવશ્યક્તા હોય છે. તે ઇષ્ટ મંત્ર સાથે કોઇ એક વિશિષ્ટ
દેવ દેવીનો સંબંધ હોય છે.
(જીવન વિજ્ઞાન પાન ૧૨૪)
૧૦૦. ઇશ્વર પ્રણિધાની ક્રિયા યોગી સાધકોને ઉચિત છે કે સ્વ સ્વ ઇષ્ટ મંત્ર સાથે જે જે દેવ દેવીનો સંબંધ તે તે દેવ દેવીઓના
લક્ષણ ઇતિહાસ, પુરાણ વગેરે ગ્રંથોનું વખતોવખત અધ્યનન-શ્રવણ કરતા રહીને જાણી લે અને મંત્ર જપ વખતે તે તે લક્ષણને
અનુરૂપ દેવ દેવીઓના ધ્યાન અને ધારણા કરતા રહે, જેથી તેઓની ઇષ્ટ નિષ્ઠા સુદૃઢ બને, વિચલિત ન થાય.
(જીવન વિજ્ઞાન પાન ૧૨૪)
|